(એજન્સી) નવી દિલ્હી, તા. ર૯
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે, રાજકારમાં આટલા બધા માતેલા સાંઢ ભાજપમાં ઘૂસી ગયા છે કે, દેશને હેરાન પરેશાન કરી નાખ્યો છે. સંજય સિંહે કહ્યું છે કે, અમિત શાહ, યોગી, પ્રજ્ઞા ઠાકુર આ બધા રાજકારણના માતેલા સાંઢ છે. આ લોકો કોઇને પણ શીંગડા મારતા રહે છે. પ્રજ્ઞા ઠાકુરના હેમંત કરકરેના નિવેદન અંગે સંજય સિંહે કહ્યું છે કે, ભાજપીઓનો કસાબ સાથે શું સંબંધ છે. આ લોકો ભાઇ-બહેન છે કે શું ? પ્રજ્ઞા ઠાકુરનો કસાબ સાથે શું સંબંધ છે ? તેમણે કહ્યું કે, છેલ્લા ૪૮ કલાકમાં ભાજપે પીએમ મોદીની ઉમેદવારીના જુલૂસના નામે આચાર સંહિતાની ધજાગરા ઉડાડ્યા છે અને ચૂંટણી પંચ કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. પીએમ મોદીની ઉમેદવારીના દિવસે ઘણા દિગ્ગજ નેતાઓ ચાર્ટર્ડ પ્લેનથી ઉમેદવારીમાં સામેલ થવા આવ્યા. આ ઉપરાંત અનેક નેતાઓ કોમર્શિયલ પ્લેનથી આવ્યા. એટલું જ નહીં મોદીની ઉમેદવારીને ભવ્ય બનાવવા માટે પીએમના ઇશારે ભાજપે નાણા આપી દેશના જુદા-જુદા ખૂણામાંથી ભીડ બોલાવી જેનો સમગ્ર વીડિયો ડેટા અમારી પાસે છે અમે તેની ફરિયાદ ચૂંટણી પંચ અને ઓબ્ઝર્વર સમક્ષ કરીશું.