વડોદરા, તા.૩૧
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનોની સરકાર અને આયોજકો દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી. સરદાર પટેલના પરિવારજનોને પણ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રહી સરદારની ઉપલબ્ધિઓ નિહાળવી પડી હતી.આયોજકોએ સરદારના પરિવારજનોને જરાય મહત્ત્વ ન આપ્યું હોવા છતાં તેમના પરિવારજનોએ વિશાળ હૃદયનો પરિચય આપતા કોઈપણ જાતની ફરિયાદ કરી ન હતી. જો કે લોકોને આની જાણ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલના પરિવારજનોને મોટા ઉપાડે આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કાર્યક્રમ સ્થળે સરકાર કે આયોજકો દ્વારા તેમની ઘોર ઉપેક્ષા કરી બેદરકારી દાખવવામાં આવી હતી. ભાજપના નેતાઓને કાર્યકરો વડાપ્રધાનની માવજતમાં વ્યસ્ત હોવાથી સરદાર પટેલના પરિવારજનો અટવાઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં કાર્યક્રમમાં હાજર સરદાર પટેલના વંશજનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે પણ સરદાર પટેલનાં પરિવારજનોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી. પ્રતિમાની ઉપર લઇ જવા માટે લાગેલી લાઇનમાં સરદાર પટેલનાં પરિવારજનોને ઊભા રહેવું પડ્યું હતું. જેનાં પગલે તેમને ભારે હાલાકી થઇ હતી. દુઃખની વાત એ છે કે, લાઇનમાં ઊભા રહ્યાં બાદ પણ લીફટમાં બેસી પ્રતિમાની ઉપર જવાની તક સરદાર પટેલનાં પરિવારજનોને મળી ન હતી. તેમની સાથેના ગાઇડે મોબાઇલનો વિડીયો બતાવીને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે જવાય છે તેમ બતાવી દીધું હતું.
પ્રતિમાની સ્થળ પર મુલાકાત લેનારા લોકોનાં જણાવ્યા અનુસાર, લોકાર્પણની ઉતાવળમાં હજુ સંખ્યાબંધ કામગીરી અધૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ કેટલીક જગ્યાએ ટાઇલ્સ ફીટ કરવાનાં બાકી છે. તેમજ ઠેક-ઠેકાણ છતમાંથી પાણી ટંપકતું હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.