પણજી, તા.૨૪
બ્રિટિશ સગીરા સ્કારલેટની હત્યાના બંને આરોપીઓને ગોવા હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂકવાથી તથા આ કેસમાં હત્યારાઓ ન પકડાવાથી ભારતીય ન્યાયતંત્રના કપાળે કાળી ટીલી લાગી છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આરોપીઓને મુક્ત કર્યા બાદ સ્કાર્લેટની માતાએ આ ચુકાદાથી આઘાત અનુભવ્યો છે. સેમસન ડિસોઝા અને પ્લેસિડો કાર્વાલ્હો નામના બે આરોપીઓ સહિત સતત આઠ વર્ષ આ કેસની તમામ કડીઓની તપાસ ચાલી હતી, એમ સૂત્રોએ કહ્યું. આ બંને આરોપીઓ પર આરોપ હતા કે તેમણે સગીરા સ્કારલેટને માદક પદાર્થ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને અન્જુના નામના બીચ પર બેભાન હાલતમાં મૂકીને તેઓ ભાગી છૂટ્યા હતા. તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૮ની સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સગીરા સ્કાર્લેટની માતા ફિયોના મૅકકીઓને આ ચુકાદાથી હતપ્રભ થઈ જઈને જણાવ્યું છે કે, હું આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારીશ. સરકારની બેદરકારી તથા ઉદાસીનતાના તેમણે આક્ષેપ કર્યા છે. તેમના મતે, જાતીય હિંસાના ભોગ બનેલા લોકોને ન્યાય આપવામાં જ્યાં તંત્ર રોજેરોજ ઊણુ ઊતરતું હોય ત્યાં આ રીતે આરોપીઓને છોડી મૂકવા અંગેના ચુકાદાથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. મીડિયાના સભ્યોને ફિઓનાએ જણાવ્યું છે કે, આ કેસની કામગીરીમાં મેં જોયું છે કે, સૌથી વધારે કશું ખૂંચે એવું હોય તો તે હતું સરકારે તદ્દન હલકી રીતે આ કેસ ચલાવ્યો તે બાબત. તેમણે કહ્યું કે, ગોવામાં પોલીસે આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને આ કેસને લૂલો કરી નાખ્યો હતો. સ્કારલેટની મેં કદી ઉપેક્ષા કરી નથી, તેને સદાય વહાલ આપ્યું છે. અને અમે જે દેશની મુલાકાત લઈ રહ્યાં હતાં તેની બાબતમાં તો હું સાવ સાહજિક જ હતી, અને સ્કારલેટ વિશે મેં જરાય ચિંતા જ નથી કરી. તેમના વકીલ વિક્રમ વર્માએ કહ્યંું કે, સ્કારલેટને જ્યાં બળાત્કાર કરતાં પહેલાં તેને ડ્રગ અપાયું અને પછી જ્યાં તેની ઉપર બળાત્કાર કરાયો, તે ઝૂંપડીને પણ તોડી પાડવામાં આવી છે. એડવોકેટ વર્માએ એવો પણ આક્ષેપ કર્યો કે, સ્કારલેટના શરીરનાં અંગો પણ સારી રીતે જળવાયાં નહોતાં, જેથી એવું પણ ચિત્ર ઊપસે છે કે, આ કેસમાં નિર્ણાયક બની શકે તેવા પુરાવાઓનો નાશ કરાયો છે. જોકે, જ્યારે સ્કારલેટની સાથે આ ઘટના બની ત્યારે તેની માતા ફિયોના મૅક્કીઓનેની મીડિયા દ્વારા ટીકા જ થતી હતી. એક અજાણ્યા વૃદ્ધ માણસની દેખરેખમાં પોતાની ટીનેજર દીકરીને મૂકી દેવાની બેદરકારી બદલ મીડિયા તેની ટીકા કરતું હતું. પરંતુ સ્કાર્લેટના આ કેસના શંકાસ્પદ આરોપીઓ કેવી રીતે અલગ પડે છે અને કેવી રીતે તેમની કામગીરી છે, તે જોવા જેવું છે.
સ્કાર્લેટ-હત્યાકેસના મણકા કઈ રીતે વિખેરાઈ ગયા દરેક કડી છૂટી પડી અને કેસ રફેદફે થઈ ગયો
પણજી, તા.૨૪
સ્કારલેટની માતા ફિયોના મૅક્કીઓન આ કેસના ચુકાદાથી ખૂબ જ દુઃખી છે. ફિયોનાએ આ ચુકાદો સાંભળવા માટે યુ.કે.થી તાબડતોબ ભારતનો પ્રવાસ કર્યો હતો. તે કહે છેઃ મને એમ હતું કે ન્યાયાધીશો આ આરોપીઓને ઓછામાં ઓછું ડ્રગ્સના આરોપમાં તો ગુનેગાર ગણશે જ. મારી દીકરીની સિસ્ટમમાં કોકીનના પુરાવા મળ્યા છે. મારે જજમેન્ટ જોવું છે. ભલે મને નિરાશા મળી, પણ હું આ જંગ છોડવાની નથી, એમ તેમણે કહ્યું. શરૂઆતથી જ વિવાદાસ્પદ રહેલા આ કેસમાં ગોવા મેડિકલ કૉલેજના ડૉક્ટરના પ્રથમ ઑટોપ્સિ રિપોર્ટમાં જણાવાયું હતું કે, સ્કારલેટ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામી હતી. પરંતુ સ્કારલેટની માતાએ સતત અનુરોધ કર્યો અને આ કેસમાં મેડિકલ પેનલે બીજો ઑટોપ્સિ રિપોર્ટ કાઢ્યો તેમાં તેના શરીર પર ઈજાનાં નિશાન હતાં અને તે હત્યાની ઘટના લાગતી હતી. તેમણે આ કેસ સીબીઆઈને સોંપવાની માગણી કરી પણ આ કેસ તેને સોંપાતાં પહેલાં ઘણો સમય વીતી ગયો હતો. સીબીઆઈએ પોતાની કામગીરી છેક ૫મી જૂન, ૨૦૦૮ના રોજ શરૂ કરી હતી. ત્યાં સુધીમાં ગુનાનું સ્થળ, પુરાવા, વેઈટર વગેરેનાં નિવેદનો વગેરે બધું સચવાયું નહોતું, એમ તેમણે કહ્યું છે. બીજી બાજુ, તેમના વકીલ વિક્રમ વર્માએ કહ્યું કે, ગોવા પોલીસે આ કેસને લૂલો કરી નાખવા માટે પુરાવાઓ શોધવામાં ખૂબ સમય લગાડ્યો. માર્ચમાં તમામ પુરાવાઓનો નાશ કરી દેવાયો હતો. ટ્રાયલ દરમિયાન બીજી તકલીફ એ થઈ કે, બ્રિટિશ નાગરિક માઇકલ મેન્નિયન કોર્ટ સમક્ષ ન આવ્યા. તેમની જુબાની આ કેસમાં સીબીઆઈના કેસ માટે સારી સાબિત થાત. તેમણે પોલીસને કહેલું કે તેમણે આરોપીઓને સ્કારલેટની સાથે બદસલૂકી કરતા જોયા હતા. તેમણે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યુકેથી પણ બયાન આપવાનો ઇનકાર કર્યો હતો અને પોતે પીટીએસડી નામની બીમારીથી ત્રસ્ત હોવાનું જણાવીને વાત ટાળી હતી. પણ બીમારીનો કોઈ મેડિકલ પુરાવો આપ્યો નહોતો.