(એજન્સી) શ્રીનગર, તા.૧૪
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે પાકિસ્તાને કાશ્મીરને માનવતા ખાતર છોડી દેવું જોઈએ અને કાશ્મીરીઓને તેમના ભાવિનો નિર્ણય કરવા દેવો જોઈએ. આફ્રિદીએ કહ્યું કે, કાશ્મીર ભારત કે પાકિસ્તાનને આપવું જોઈએ નહીં. તેમને સ્વતંત્ર રહેવા દો. માનવતા મહાન છે. કાશ્મીરમાં માનવી હત્યાઓ થઈ રહી છે. ભલે ગમે તે ધર્મના લોકો હોય મોત થયા જેનાથી આઘાત લાગે છે. બ્રિટિશ સંસદ ખાતે વિદ્યાર્થીઓને આફ્રિદી સંબોધી રહ્યા હતા. કાશ્મીરીઓ સહન કરી રહ્યા છે તેનાથી દુઃખ લાગે છે. ગયા એપ્રિલમાં આફ્રિદીએ કાશ્મીરનીતિ અંગે ભારતની ઝાટકણી કાઢી હતી. આફ્રિદીએ કહ્યું કે જુલમના શાસનમાં નિર્દોષ લોકો ઠાર થાય છે. જેઓ આત્મનિર્ણય અને આઝાદીનો આવાજ ઉઠાવે છે. તેમણે પાકિસ્તાનને કાશ્મીરની ચિંતા નહીં કરવા જણાવ્યું હતું. પાકિસ્તાન તેના ચાર પ્રાંતોની યોગ્ય સુરક્ષા કરી રહ્યું નથી તે કાશ્મીરના હિત માટે શું કરશે ? તેમણે કાશ્મીરને અલગ દેશ બનાવવાની માગણી મૂકી હતી. જેથી ઈન્સાનિયત જીવતી રહે. તેમણે કાશ્મીરની સ્થિતિને ચિંતાજનક બતાવી હતી. ઘણાં બધા કાશ્મીરી ચાહકો પાકિસ્તાની ક્રિકેટરને ટેકો આપે છે.