(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
દિલ્હીમાં ભાજપ નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે અવિશ્વાસ પ્રસ્તાવ વિરૂદ્ધ મત આપવા અંગે વાત કરી છે. હવે આ મુદ્દે શિવસેનાના સૂત્રોએ દાવો કર્યો છે ઉદ્ધવ ઠાકરેએ ગત બે દિવસમાં અમિત શાહ સાથે એક શબ્દ પણ વાતચીત કરી નથી. શિવસેનાના નેતાએ જણાવ્યું કે આ વાત સાચી છે કે અમિત શાહે અનેક વાર ફોન કર્યો. કાલે જ અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે ઓછામાં ઓછા પ વાર ફોન કર્યા હતા. પરંતુ ઉદ્ધવેજીએ એક પણ કોલ ઉપાડ્યો ન હતો. ભાજપના દાવાને શિવસેના નેતૃત્વને પાયાવિહિન ગણાવ્યા હતા. એક વરિષ્ઠ નેતાએ કહ્યું અમારી ભાજપ નેતાઓ સાથે એક શબ્દ પણ વાત નથી થઈ. એનડીએના મહત્ત્વના પક્ષ શિવસેનાએ તેલુગુ દેશમ પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનાની ચર્ચાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ બાદ શિવસેનાએ તેમની તારીફ પણ કરી હતી. પહેલાં શુક્રવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે શિવસેના વારંવાર નિવેદન આપી રહી છે કે તે વર્ષ ર૦૧૯માં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.