અમદાવાદ, તા.૧૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દેશના રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઠેર-ઠેર પ્રવાહીતા જોવા મળે છે. શિવસેના-ભાજપની દાયકા જૂની યુતિ નામ માત્રની રહી ગઈ છે. જે રીતે આ બન્ને ભગવા પક્ષો એકબીજા સામે ન્હોર ભરાવી રહ્યા છે તે જોતાં હવે તેમનું ગઠબંધન ટકે તેમ નથી બલ્કે એવું લાગે છે કે ગઠબંધન તૂટયાની ઔપચારિક જાહેરાત જ કરવાની બાકી છે. આ તબક્કે તકવાદી રાજકારણી તરીકે જાણીતા શરદ પવાર અને એમનો પક્ષ NCP ભાજપ સાથે સગવડિયું જોડાણ કરી લે તેવી શક્યતા ખૂબ જ રૂઢ જણાય છે. કેમ કે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં હોવા છતાં શરદ પવારની NCPઓની કોંગ્રેસને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા ત્યારેય સોનિયા ગાંધી સામે બળવો કરીને અલગ ચોકો તાણ્યો હતો અને કોંગ્રેસને તોડવાનું કામ કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી રચીને ભાજપ કરતા કોંગ્રેસને વધારે હેરાન કરવાનું શરૂ કર્યું હતું જે આજ પર્યંત ચાલુ છે.
ગત ર૦૧૪માં જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપને સરકાર રચવા માટે જરૂરી બહુમતીમાં રર બેઠકો ખૂટતી હતી ત્યારે શરદ પવારે સામે ચાલીને ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી હતી જો કે ભાજપે ત્યારે શિવસેનાને સાધી લઈને પવારના ભાગમાં પાવર એટલે કે સત્તા આપવા દીધી નહતી. જો કે ત્યારબાદ શિવસેનાના સંબંધો ભાજપ સાથે સતત વણસતા રહ્યા જ્યારે ર૦૧પમાં પણ શરદ પવારે કહ્યું હતું કે, ભાજપને સમર્થનની અમારી ઓફર આજે પણ યથાવત્ છે. આમ ભાજપ માંગતો ન હોવા છતાં તેઓ સામે ચાલીને તેને સાથ આપવા દોડી જાય છે અને આજે પણ તેમનો કોંગ્રેસ પ્રત્યેનો દ્વેષ અને ભાજપ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે.
હાલની જ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણીઓમાં પણ NCPએ એવી હરકતો કરી છે કે કોંગ્રેસને નુકસાન થાય અને ભાજપને ફાયદો થાય. બલ્કે NCP ગુજરાતમાંBJPની B ટીમ તરીકે કામ કરી રહી હોવાના આક્ષેપો સંભળાઈ રહ્યા છે. અને આક્ષેપોમાં પૂરેપૂરો દમ એટલે જણાય છે કે કોંગ્રેસ સાથે સમજૂતી કરવાને બદલે તેણે ઠેર-ઠેર પોતાના ઉમેદવારો ઊભા કરીને કોંગ્રેસના મત તોડવાની વ્યૂહરચના અપનાવી છે જેનો સીધે સીધો અને પૂરેપૂરો ફાયદો ભાજપને થશે. એનસીપી જેટલા મત લઈ જશે એ મોટાભાગે કોંગ્રેસના જ તૂટશે. એટલે એનો સીધો લાભ ભાજપને પહોંચશે. સ્વતંત્ર રીતે એનસીપીનો એકપણ ઉમેદવાર ગુજરાતમાં ચૂંટાય એવી શક્યતા નહિવત છે. મતલબ કે તેના તમામ ઉમેદવારો હારી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે NCPના ઠેરઠેર ઉભા રહેલા ઉમેદવારોને ફાળે જે મત જશે એ મત વિભાજન જ હશે અને મોટાભાગે તે કોંગ્રેસના મતોમાં જ ગાબડું પાડશે એમ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે.
બીજી તરફ શરદ પવારના આવા એકતરફી અને સતત સહકારને પગલે ભાજપ પણ હવે શિવસેનાને ત્યજીને કમસેકમ મહારાષ્ટ્રમાં તો શરદ પવારની એનસીપી અપનાવે તેવી પૂરી શક્યતા જણાય છે અને પવારની આ માટેની “ઓફર” આજે પણ ખૂલ્લી છે જ.