(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
ગતરોજ યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ વીવીપેટ સાથેના ઈવીએમ મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એસવીએનઆઈટી ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમ પાસે લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર મતદાન થયું હતું. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ સુપેર જળવાઈ રહી હતી. સાંજે ૬ના ટકોરે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનોમાં ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોના ભાવિને સીલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઈવીએમ મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પીપલોદ ખાતે એસવીએનઆઈટીમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સ્ટ્રોંગ રૂમ પાસે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા. હવે સ્ટ્રોંગ રૂમમાંથી તા.૨૩-૫-૧૯ના રોજ મતગણતરીના દિવસે નિયમાનુસાર કાર્યવાહી કરી જે-તે મતગણતરી રૂમમાં ખસેડવામાં આવશે. આ સ્ટ્રોંગ રૂમ પાસે રાજકીય પક્ષના ઉમેદવારો પણ પોતાના માણસો દ્વારા રાખનાર હોવાનું જાણવા મળે છે.