સુરેન્દ્રનગર, તા.૧ર
સુરેન્દ્રનગર જોરાવરનગરને જોડતી ભોગાવો નદીમાં શહેરી વિકાસ યોજના યુ.ડી.પી ૭૮ અંતર્ગત રીવાયન્ડીંગ વોલ અને રોડની કામગીરીમાં ટેન્ડરની શરતોને અવગણી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા પ્રવર્તે છે. આ અંગે કોંગી અગ્રણી કમલેશ કોટેચાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તપાસ કરવા માગણી કરી છે. રજૂઆતમાં કોટેચાએ જણાવ્યું છે કે, આ કામના ટેન્ડરમાં એવી શરત રાખવામાં આવેલ હતી કે જો કોન્ટ્રાક્ટરની માલિકીનો ર૦ કિ.મી.ના રેડિયસમાં એસફાલ્ટ ડોટ મીક્ષ પ્લાન્ટ ધરાવતો હોય તો જ ક્વોલીફાઈડ થઈ શકે. પરંતુ મારી જાણ મુજબ સુરેન્દ્રનગરથી ર૦ કિ.મી.ના રેડિપસમાં એક પણ એસફાલ્ટ ડોટ મીક્ષ પ્લાન્ટ આવેલ નથી. તો પછી આ એજન્સીને કવોલીફાઈડ કરી મ્યુનિસિપાલીટીના જવાબદારોએ ખૂબ જ મોટો ભ્રષ્ટાચારને પોષનયો હોય તેવું ફલિત થાય છે. આ મુદ્દાને ખૂબ જ ગંભીર બાબત ગણી તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવી તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ મુદ્દે કાર્યવાહી નહીં થાય તો તમામ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે કોર્ટમાં જઈ ન્યાયિક તપાસની દાદ માંગવી પડશે. તેવી ચીમકી ઉચ્ચારી આજે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે. તે વેળા નરેન્દ્ર મુજપરા, રોહિત પટેલ, કનેસ સોલંકી, સુબોધ જોષી, તુલસીભાઈ ભુતડા, સહિત ગમારા, અવનીબેન, ઓઝા સહિત કમલેશ કોટેચાના આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.