(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૬
સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ-સુરેન્દ્રનગર નગરપાલિકા પાસે રહેલા સોનાપુર રોડવાળા મેઈન સ્મશાન ઘાટમાં શબને અગ્નિદાહ આપવા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ન હોવાનું ધ્યાનમાં આવેલ હતું.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના સમાજ સેવક એવા મોહનભાઈ પટેલ અને સુરેન્દ્રનગર શહેરની વિશ્વ હિન્દુ સેનાના અધ્યક્ષ દિનભા ઝાલા અને તેમના કાર્યકરો દ્વારા શહેરના માર્ગો ઉપર ફરી ફરી લોકોની પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો.
દિનભા ઝાલા લોહાણા સમાજના પંકજભાઈ પુજારા, પટેલ સમાજના મોહનભાઈ પટલ, દલિત સમાજના બી.કે.પરમાર, મુસ્લિમ સમાજના ફજલભાઈ ચૌહાણ અને તેમની ટીમના કાર્યકરો દ્વારા લાકડા, છાણા, ઘાસ માટેની ટહેલ નાખી હતી અને બે કલાકમાં જ સારી એવી રકમ ભેગી કરવામાં આવેલ હતી. જે અગ્નિદાહમાં વાપરવામાં આવશે.
સુરેન્દ્રનગર શહેરના સ્મશાન ઘાટમાં લાકડા, છાણા, ઘાસ તથા ઈલકેટ્રીક ભઠ્ઠીની વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર સમાજ સેવકો જ્યારે ફાળો એકત્રિત કરી રહ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ફાળો આપી માનવતા મહેકાવી હતી અને આમ મુસ્લિમ સમાજે પણ એમની પ્રથા શક્તિ મુજબનો ફાળો આપી કોમી એકતાની લાગણીને ઉજાગર કરી હતી.