(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
સુરત મહાનગરપાલિકા સંચાલિત સહારા દરવાજા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલના કર્મચારીના સંબંધીને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં ડોક્ટરોએ તેમને કેઝયુલીટી વિભાગમાં ત્રણ કલાક સુધી આમતેમ દોડાવ્યા હતા. ત્રણ-ત્રણ કલાક સુધી રઝળાવ્યા બાદ અંતે તેમની વધુ તબિયત બગડી હતી અને કેઝયુલીટીમાં જ તેમણે દમ તોડી દીધો હતો. જેના કારણે પરિવારજનોમાં રોષ દેખાયો હતો. જ્યારે આ બનાવને લઇને પ્રશ્નોએ ઉઠ્યા હતા કે, સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો પોતાના જ કર્મચારીના નથી હોતા તો સામાન્ય દર્દીના શું થવાના !
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી ખાતે આવેલ ગાંધી કોલોનીમાં રહેતા રમીલાબેન પ્રનીણભાઇ મકવાણા (ઉ. વ. ૪૫) બારડોલી નગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ ભજવતા હતા ગત રાત્રે તેમને ઘરે શ્વાસની તકલીફ થઈ હતી. આ સંજોગોમાં પ્રવિણભાઇએ વિચાર્યું હતું કે, તેમનો ભાઇ સ્મીમેરમાં નોકરી કરે છે જેથી ત્યાં તેમની પત્નીને યોગ્ય સારવાર મળશે અને ડોક્ટરો પણ બરાબર ધ્યાન આપશે. તેથી તેઓ બારડોલીથી પત્ની રમીલાબેનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ત્રણેક કલાક પછી કેઝયુલીટીમાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રવીણભાઇ તથા સગાઓેેેએ જણાવ્યું હતુ કે, તેઓ રમીલાબેનને મળસ્કે ચાર વાગે લઇ આવ્યા હતા પણ ડોક્ટરો તેમને આમ – તેમ ફેરવતા હતા અને સતત ત્રણ કલાક સુધી યોગ્ય સારવાર સુદ્વાં મળવા પામી ન હતી. એટલું જ નહીં રમીલાબેન પોતે આજીજી કરતા હતા કે ડોક્ટર સાહેબ મને દાખલ કરી લો ત્યારે ડોક્ટરોએ જવાબ આપ્યો હતો કે, આ અમારૂ કામ નથી. ત્રણ કલાક આમ – તેમ ધક્કા ખવડાવ્યા અને રઝળાવવામાં તેમની તબિયત વધુ બગડી ગઇ અને ત્યાં જ મોતને ભેટ્યાં હતાં. વધુમાં મૃતકના પતિ પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, તેમના ભાઇ સ્મીમેર હોસ્પિટલમાં નોકરી કરે છે તેથી ડોક્ટર બરાબર સારવાર આપશે તેવું વિચારીને અહીંયા લઇ આવ્યા હતા, પરંતુ અહીંયા ડોક્ટર યોગ્ય સારવારની વાત તો દૂર સમયસર સારવાર નહીં આપી જેના કારણે તેમના પત્નીનું નોત થયું હતું.