(એજન્સી) તા.ર૩
સોચીમાં આવેલા બ્લેક સીના રિસોર્ટ ખાતે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાન અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાઈ હતી. અહીં ત્રણેય ટોચના રાષ્ટ્રપતિઓ વચ્ચે સીરિયા મુદ્દે ચર્ચા થઈ હતી. બુધવારે બેઠક શરૂ થતાં ત્રણેય દેશોએ ભાગ લઈને ગત વર્ષથી સીરિયામાં લાગુ કરાયેલ સીઝફાયર મુદ્દે ચર્ચા કરી હતી. અહીં બેઠકમાં રૂહાનીએ કહ્યું હતું કે, ઈરાક અને સીરિયામાં આતંકીઓનો સફાયો કરી દેવાયો છે પરંતુ તેમણે નોંધ લેતા કહ્યું હતું કે, હજુ પણ આતંકવાદ વિરૂદ્ધ એકસાથે એકબીજાને સહયોગ કરીને લડવાની જરૂર છે અને સીરિયામાં બાકી રહેલા નાના- નાના વિસ્તારોમાં પણ આઈએસના આતંકીઓનો ખાત્મો બોલાવવો જરૂરી છે. તેમણે સીરિયાના સંઘર્ષમાં વિદેશી સેનાઓની દખલગીરી અંગે કહ્યું કે, કેટલાક દેશો તેમનો સ્વાર્થ સાધવા માટે અરબ દેશોની લોકશાહીને નષ્ટ કરી દેવા માંગે છે. રૂહાનીએ કહ્યું કે, જે રીતે હાલમાં આપણા વિસ્તારોમાં અને દેશોમાં સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી જ બોધ લેવાની જરૂર છે. કેટલાક વિદેશીઓ લોકશાહીની ચાપલુસી કરી રહ્યા છે અને પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આઈએસના ખાત્માને કારણે હવે આતંકવાદ સમર્થિત દેશોની ચિંતા વધી છે અને હવે તેઓ જાતિના નામે દેશોમાં ભાગલા પાડવા માંગે છે. તેઓ બીજા દેશોમાં અસ્થિરતા ફેલાવવામાં જ માને છે. તેમણે સઉદી અંગે સંકેતોમાં કહ્યું કે, દુઃખની વાત છે કે, કેટલાક દેશો અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશોની નીતિઓ પર ચાલી રહ્યા છે અને બીજા નાના-નાના દેશોમાં અસ્થિરતા અને યુદ્ધ ફેલાવી રહ્યા છે.
સઉદીના વિદેશમંત્રીએ કહ્યું : સીરિયાની
કટોકટીનો અંત સર્વસંમતિથી જ આવશે
(એજન્સી) રિયાધ, તા.ર૩
સઉદીના વિદેશમંત્રી અબ્દુલ અલ-ઝુબેરે સીરિયાના વિપક્ષના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, સીરિયામાં જે વર્તમાન કટોકટી ચાલી રહી છે તો અંત ફક્ત સર્વસંમતિથી જ આવશે અને તેનાથી જ સીરિયાના નાગરિકોના હિતો સાધવામાં આવી શકશે. આ બેઠકનું આયોજન બુધવારે રિયાધમાં કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સીરિયાના નાગરિકોની સર્વસંમતિ વિના સીરિયાના વિવાદનો અંત આવવાનો નથી. જીનિવા ૧ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલના ખરડા નંબર રરપ૪ અનુસાર જ સીરિયાના નાગરિકોની માગણી પૂરી કરવાથી જ આ વિવાદ ઉકેલાશે.