(એજન્સી) પક્તિયા, તા.૧૮
અફઘાનિસ્તાનમાં પોલીસકર્મીઓ અને સૈન્ય દળોને નિશાન બનાવીને કરવામાં આવેલા બે આત્મઘાતી વિસ્ફોટો અને ગોળીબારમાં આશરે ૭૪ લોકોનાં મોત થયાં અને આશરે ર૦૦ લોકો ઘાયલ થઈ ગયા. આ દરમિયાન પાંચ આતંકવાદી પણ માર્યા ગયાં છે. આ દેશમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા સુરક્ષા દળો પરનો આ ભીષણ હુમલો છે.
તાલિબાને ટ્વીટ કરીને આ ઘાતક હુમલાઓની જવાબદારી લીધી છે. આ હુમલો પક્તિયા પ્રાંતના ગારદેજ શહેરમાં પોલીસને નિશાન બનાવીને કરવામાં આવ્યો. ગૃહમંત્રાલયે જણાવ્યા અનુસાર આ હુમલામાં પર લોકોનાં મોત નિપજ્યાં છે અને સેંકડો ઘાયલ થયા છે. હોસ્પિટલના અધિકારીઓએ ઈજાગ્રસ્તો માટે રક્તદાન કરવાનું આહ્વાન કર્યું છે.
પાડોશી પ્રાંત ગજનીમાં આજે ઘેરો ઘાલીને કરવામાં આવેલા અન્ય એક હુમલામાં રપ સુરક્ષાકર્મીઓનાં મોત નિપજ્યાં અને અન્ય ૧૦ ઘાયલ થયા હતા. ર૦૧૪માં વિદેશી સૈન્ય દળો પરત ફર્યા બાદથી તાલિબાન વિરૂદ્ધ અફઘાનિસ્તાનની સેના અને પોલીસ અગ્રણીઓ મોરચા પર છે. ગત એક વર્ષમાં આતંકવાદી હુમલાથી તેને ઘણું નુકસાન પહોંચ્યું છે.
ગારદેજના ઉપસ્વાસ્થ્ય નિર્દેશક શિર મોહમ્મદ કારિમીએ જણાવ્યું કે, હોસ્પિટલોમાં ભારે ધસારો છે અને અમે લોકો સમક્ષ રક્તદાન કરવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. ડોક્ટર અને નર્સ ઘાયલ મહિલાઓ, બાળકો અને પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા છે. હોસ્પિટલોમાં સ્થિતિ એવી છે કે, ગલિયારીમાં પણ મૃતદેહો પડ્યા છે. આ દરમિયાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રક્તદાનની પહેલ કરી છે.
ગૃહમંત્રાલય તથા સ્થાનિક પોલીસે જણાવ્યા અનુસાર પક્તિયા પોલીસ મુખ્યાલય પાસેના તાલીમ કેન્દ્ર નજીક બે આત્મઘાતી હુમલા કરી હુમલાખોરોએ જબરદસ્ત વિસ્ફોટ કર્યા. ત્યારબાદ બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો.
પક્તિયા ગવર્નર કાર્યાલયમાંથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હુમલામાં મોટાભાગે એવા નાગરિકોને નુકસાન પહોંચ્યું છે જે પોતાનો પાસપોર્ટ અને ઓળખપત્ર લેવા માટે પોલીસ મુખ્યાલય આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાખોર અને સુરક્ષાકર્મીઓ વચ્ચે આશરે પાંચ કલાક સુધી અથડામણ ચાલી હતી. આ અથડામણમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.