જૂનાગઢ, તા.૧૫
જૂનાગઢ ખાતે ખાનગી બસ સંચાલકે એસ.ટી.ના આસિ. સિક્યુરિટીનો હોદ્દો ધરાવતા કર્મીએ લાંચની માગણી કરી ત્રાસ આપતા ઝેરી દવા પી લીધી હતી. આ અંગે મુસ્લિમ એકતા મંચ દ્વારા એસટી નિગમના વાઈસ ચેરમેનને પત્ર લખી ઘટનાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
બનાવની વિગત અનુસાર બે દિવસ પૂર્વે જૂનાગઢ ખાતે ખાનગી બસ સંચાલક મુસ્તાક ઈકબાલ શેખ પાસે એસટી કર્મચારી રમેશ ચંદ્રવાડિયા (જે આસિસ્ટન્ટ સિક્યુરિટીનો હોદ્દો ધરાવે છે)એ સી.ઓ. ચેકિંગ દરમ્યાન તેમની પાસે તેલના ડબલા તથા રોકડ રકમની લાંચ માંગી જણાવ્યું હતું કે જો તારે હાઈવે પર બસ ચલાવવી હોય તો મને હપ્તો અને તેલના ડબ્બા આપવા પડશે. તેવી ધમકી આપી હતી. આ રમેશચંદ્ર વાડિયા અવારનવાર તેમની પાસે લાંચની માગણી કરી માનસિક ત્રાસ આપતા જેથી મુસ્તાકભાઈને લાગી આવતા તેમણે ઝેરી દવા પી લેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ કર્મચારી દ્વારા અવારનવાર ત્રાસ અપાતા પોતે ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લાની હદની બહાર પણ તેમના દ્વારા અનેક વખત ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરાતું હોય છે. આ અંગે મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઈમ્તિયાઝ પઠાણે એસટી નિગમના વાઈસ ચેરમેન સોનલબેન મિશ્રાને પત્ર લખી આ અંગે ઉચ્ચકક્ષાએથી સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી. જો એસટી કર્મચારીની સંડોવણી હોય તો તેમને શિક્ષાત્મક પગલા તેમજ કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ તથા લાંચ રૂશ્વત બ્યુરોમાં પણ ફરિયાદ કરાઈ છે. આ વિવાદાસ્પદ કર્મચારી પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી અને યોગ્ય તપાસ કરવા વિનંતી કરી છે.