(એજન્સી) તા.૯
આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદના મોટા પુત્ર અને બિહારના પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે પોતાની પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ મોર્ચો ખલી દીધો છે. તેમને કહ્યું કે, લોકો ભાઈ-ભાઈને લડાવવા માંગે છે. આરજેડીમાં કેટલાક અસામાજિક તત્ત્વો આવી ગયા છે. મારી વાતને પાર્ટીના નેતા સાંભળતા નથી. અમે આરજેડીના કોઈ નેતાને કોઈ કામ માટે ફોન કરીએ છીએ તો કોઈ જવાબ આપવામાં આવતો નથી. જો કે, નાના ભાઈ સાથે મન-દુઃખ પરના પ્રશ્ન પર તેજપ્રતાપે કહ્યું કે, તેજસ્વી મારા કાળજાનો કટકો છે. આરજેડી નેતાએ કહ્યું કે, તેજસ્વી, મીસા અને રાબડી દેવી અને મારૂ નામ લઈને પાર્ટીના લોકો ખોટું કામ કરે છે. તેમને કહ્યું કે, હું પાર્ટીનું સન્માન કરૂં છું. તેજસ્વીને ગાદી આપીને હું દ્વારકા ચાલ્યો જઈશ પરંતુ હું જ્યાં જઈશ ત્યાં રાજનીતિ કરીશ. ઉલ્લેખનિય છે કે, શનિવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના પૂર્વમંત્રી તેજપ્રતાપ યાદવને રાજનીતિથી મોહભંગ થવાના સંકેત આપ્યા છે. તેમને ટિ્‌વટ કરીને લખ્યું છે કે, મારૂં વિચારવું છે કે, હું અર્જુનને હસ્તિનાપુરની ગાદી પર બેસાડું અને દ્વારકા ચાલ્યો જઈશ. હાલમાં કેટલાક લોકોને કષ્ટ છે કે, ક્યાંક હું કિંગ મેકર ન ગણાવવા લાગું.