(એજન્સી) સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા. ૧૭
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાના નિર્ણય પર એક ઊર્દુ કહેવતનો ઉપયોગ કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતીય રાજદૂતે કહ્યું કે યુએનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવો ‘મિયાની દોડ મસ્જિદ સુધી’ ની જેમ છે. પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે તેનો આ નિર્ણય મિયાની દોડ મસ્જિદ સુધી જેવો છે. તેમના જણાવ્યાનુસાર, ભારત સોમવારથી શરૂ થઈ રહેલા સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા ના સત્રમાં પ્રગતિશીલ ફોરવર્ડ લુકિગ એજન્ડા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ટૂંક સમયમાં આતંકવાદી સંગઠન જૈશના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરશે તેવી આશા વ્યક્ત કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતીય રાજદૂતે એવું કહ્યું કે જ્યાં સુધી અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર ન થાય ત્યાં સુધી જંપીને બેસીશું નહી. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન આડખીલી બનીનુ ઊભું છે. ચીન સિવાયના સંયુક્ત રાષ્ટ્રસંઘના તમામ સભ્ય દેશો મસૂદને આતંકવાદી જાહેર કરવાની તરફેણમાં છે પરંતુ એકમાત્ર ચીને વીટો વાપરીને ભારતની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ભારતીય રાજદૂતે એવું કહ્યું કે જ્યાં સુધી અઝહરને સજા નહીં થાય ત્યાં સુધી ભારત પાછીપાની નહીં કરે. તેમણે કહ્યું કે ૪૦ વર્ષથી કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઓપચારિક રીતે કોઈ ચર્ચા થઈ નથી. જો કોઈ આ મુદ્દાને ઉઠાવશે તો તે સમયનો બગાડ કરશે.