અમદાવાદ, તા.ર૮
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માગ સાથે આમરણાંત ઉપવાસ હાર્દિક પટેલ કરી રહ્યો છે ત્યારે હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા સમર્થકોને પોલીસ અટકાવીને તેમને હેરાન પરેશાન કરી રહી છે ત્યારે સમર્થકોના માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે હાર્દિકે માનવ અધિકાર આયોગના ચેરમેનને ખુલ્લો પત્ર લખ્યો છે. હાર્દિકે માનવ અધિકાર આયોગના ચેરમેનને લખેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું કે, અમો છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છીએ અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, જે પાટીદારના યુવાનોની હત્યા કરવામાં આવી છે તેઓના પરિવારને ન્યાય મળે અને ગુજરાતના ખેડૂતોને, બેકાર યુવાનોને ન્યાય મળે વગેરે બાબતે પ્રજાને સાથે રાખી આંદોલન ચલાવી રહ્યા છીએ. સરકાર દ્વારા અમોને હેરાન કરવા અમારા ઉપર ઘણા બધા ખોટા કેસો પણ કરવામાં આવેલા છે તથા અમારી સ્વતંત્રતા જોખમાય તેવા તમામ પ્રકારના પ્રયાસો અત્યાર સુધીમાં કરવામાં આવેલા છે. ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થાય, ખેડૂતોને ન્યાય મળે અને પાટીદાર સમાજને બંધારણીય રીતે અનામતનો લાભ મળે તેવા હેતુથી અમે છેલ્લાં ઘણાં સમયથી ભુખ હડતાલ પર બેસવા માટે અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર કલેક્ટર વગેરે પાસે પરવાનગી માંગેલ હતી પરંતુ સરકાર દ્વારા આવી પરવાનગી આપવામાં આવી ન હતી. બંધારણની અંદર ભારતના દરેક નાગરિકને ન્યાય માટે કે પોતાને કે સમાજને થતા અન્યાય માટે કે અત્યાચાર માટે ન્યાય મેળવવા માટે કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહીં તે રીતે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો કે ભૂખ હડતાલ પર બેસવાનો અધિકાર આપેલો છે. અમે કાયદો અને વ્યવસ્થા જોખમાશે તો અમારી સંપૂર્ણ જવાબદારી રહેશે તેવી લેખિતમાં બાહેંધરી આપેલ હોવા છતાં અમને ભૂખ હડતાળ પર બેસવાની પરવાનગી આપી નથી. અમને પરવાનગી ન મળતાં ૨૫/૦૮/૨૦૧૮ના રોજ બપોરે અમારા નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા અને અમને સમર્થન કરવા ગુજરાત અને ગુજરાત બહારથી મોટા પ્રમાણમાં અમારા સમર્થકો આવવાના હોવાથી ૨૪/૦૮/૨૦૧૮ બપોરથી જ પોલીસ દ્વારા ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લા કક્ષાએથી અમારા સમર્થકોને નજરકેદ કરવામાં આવ્યા હતા જેમાં પાલનપુર, ચાણસ્મા, મોરબી, જૂનાગઢ જેવા વિવિધ સ્થળોએથી આવતા પાટીદાર અને અન્ય સમાજના યુવાનો અને ભાઈ-બહેનોને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા અને તેઓની ગાડીના ટાયરમાંથી હવા પણ કાઢી નાખવામાં આવી હતી અને તેઓ ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગઇકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી બહેનો મને રાખડી બાંધવા અને આશીર્વાદ આપવા આવતી હોય તેઓને પણ રોકી દેવામાં આવી હતી. મારા સગા-સંબંધીને પણ મને મળતા અટકાવી દેવામાં આવેલા છે. વધુમાં, અમે જે જગ્યાએ ઉપવાસ ઉપર બેઠેલા હતા તે જગ્યાએ અમારા સમર્થકો માટે પાણી, દૂધ કે જમવાનું કરિયાણું કે નાસ્તો પણ પહોંચાડવા દેવામાં આવી નથી. અમારા સમર્થકોને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રોકી તેઓની ગાડીઓ પણ ડિટેઈન કરવામાં આવે છે. આ બાબતો ધ્યાને લઇ તાત્કાલિક આ બાબતે વહીવટી તંત્રને સૂચના આપી અમારા તથા અમારા સમર્થકોના માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી વિનંતી છે.