અંજાર, તા.૬
અંજાર તાલુકાના વરસામેડી ગામ ખાતે આવેલ ગ્રુપ ઓફ વેલસ્પન કંપની લી. દ્વારા સ્થાનિક ગ્રામજનોને જ અન્યાય કરી રહી છે અને સ્થાનિક ગ્રામજનો જો પોતાના પ્રશ્નોની માંગ માટે કંપનીના અધિકારીઓ પાસે પોતાના હક્કની માગણી કરવા જાય છે તો કંપનીના જવાબદારો સીધી પોલીસની ધમકી આપી પોલીસ બોલાવી લે છે અને ખોટે ખોટી પોલીસ ફરિયાદો કરાવીશું તેવું જણાવી હેરાન પરેશાન કરી રહ્યા છે.
વેલસ્પન કંપની દ્વારા ગામની ગૌચર દબાણો કરવામાં આવેલા છે. તે તાત્કાલિક દૂર કરાવવા ગ્રામજનો છેક સુધી લડી લેવાના મૂડમાં છે. એટલું જ નહીં આ માથાભારે ગ્રુપ ઓફ વેલસ્પન કંપની દ્વારા રાજમાર્ગો બંધ કરી દેવામાં આવેલા છે અને ગામના વર્ષો જૂના તળાવો પણ દાટી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ તળાવોની પાળ ઉપર તેમજ આજુબાજુ દેવસ્થાનો આવેલા છે તે પણ નષ્ટ કરી નાખ્યા છે અને વેલસ્પન કંપની દ્વારા ગંદુ કેમિકલવાળું પાણી ખૂલ્લી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ખૂબ જ ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. તેમ છતાં પ્રદૂષણ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી બેઠા છે અને આ માથાભારે ગ્રુપ ઓફ વેલસ્પન કંપનીના પેટનું પાણી એ હલતું નથી અને સ્થાનિક ગામના જ પરિવારો પાસેથી જ સ્કૂલની ફી ઉઘરાવવામાં આવે છે તે ફીમાં માફી આપવામાં આવે અને વરસામેડી ગામથી ગુજરાત કોલોની સુધી ગામની નાની નાની બાળાઓ પગે પગે સ્કૂલ જાય છે, જેના કારણે આ નાની બાળાઓની જિંદગી ખૂબ જ ખતરામાં પસાર થાય છે. તેના માટે ખાસ સ્કૂલ બસ ચાલુ કરવામાં આવે તેવી સખ્ત માગણી છે. જો આ બધી માંગો અને નદીનું ગંદુ પાણી, રાજમાર્ગો, તળાવો અને ગૌચર જો ખૂલ્લા કરવામાં નહીં આવે તો નાછૂટકે ગ્રામજનો અને આજુબાજુના સ્થાનિક નાગરિકો દ્વારા ખાસ ગ્રામસભાઓ બોલાવી જનઆંદોલનો કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે.