(એજન્સી) લખનૌ, તા. ૭
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદની સુનાવણીમાં વિલંબ કરવાના પ્રયાસો કરવાનો મુસ્લિમ સંગઠનો સામે આરોપ મુક્યો છે અને જણાવ્યું કે આ કેસ સાથે વિશાળ લોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે. અધિક સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી કે વધુ સુનાવણી કરતા પહેલા નમાઝ પઢવાની એક જગ્યા તરીકે મસ્જિદ ઇસ્લામનો આવશ્યક ભાગ છે કે કેમ ? આ પ્રશ્ન અને બંધારણીય બેંચે પહેલા નિર્ણય લેવો જોઇએ, એવું જણાવતી અરજદારોની અરજીમાં સ્વાભાવિક રીતે કંઇક ખોટું છે. આ કેસની વધુ સુનાવણી ૧૩મી જુલાઇએ હાથ ધરવાનું કોર્ટે નક્કી કર્યું છે. અરજદારો વતી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને અધિક સોલિસિટર જનરલની રજૂઆતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે જો મસ્જિદોમાં નમાઝ પઢવા દેવામાં આવશે નહીં તો ઇસ્લામ ભાંગી પડશે. અધિક સોલિસિટર જનરલે અરજીના સમય સામે પણ પ્રશ્ન કર્યો હતો અને જણાવ્યું હતું કે ૨૦૧૦માં સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી ત્યારે કોઇપણ અરજદારે ઇસ્લામમાં મસ્જિદોની આવશ્યકતાનો પ્રશ્ન ઉઠાવ્યો ન હતો. આ અપીલ સુપ્રીમ કોર્ટમાં ૮ વર્ષ સુધી પડતર રહી ત્યારે પણ કોઇએ આ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો, તેથી હવે શા માટે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, એવું તેમણે પૂછ્યું હતું.