(એજન્સી) તા.ર૪
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે યમની રાજધાની સના પર કબજો મેળવવાની બીજી વાર્ષિક તિથિની ઉજવણી બળવાખોરોએ કરી તેના કલાકો બાદ જ સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોના યુદ્ધવિમાનોએ બળવાખોરોના કબજા હેઠળના યમની બંદરીય શહેર હુદૈદા પર હવાઈહુમલાઓ કર્યા હતા. આ હવાઈહુમલામાં ર૦ નાગરિકો માર્યા ગયા હતા.
સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનનું જેને સમર્થન છે તેવા રાષ્ટ્ર પ્રમુખ અબ્દે અબુ રબ્બુ હાદીની સરકારના એક અધિકારીએ એએફપીને જણાવ્યું હતું કે, આ હવાઈ હુમલાઓનું નિશાન રાતા સમુદ્રના બંદર હુદેદાનો એક અલહુનોદ વિસ્તાર બન્યો હતો. આ હુમલાઓ થયા હોવાનું રાજધાની સના ખાતેના બળવાખોરોના વહીવટી તંત્રએ પણ જણાવ્યું હતું એન જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં અચોક્કસ સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે. હાદાના વફાદાર અધિકારીએ જણાવ્યું હતંુ કે આ હવાઈહુમલો ભૂલથી રહેણાંક વિસ્તાર પર થઈ ગયો હોઈ શકે છે. આ હુમલાનો ભોગ હુદૈદામાં આવેલ રાષ્ટ્ર પ્રમુખનો મહેલ પણ બન્યો હતો. હુદૈદામાં આવેલ અલ-થાવરા હોસ્પિટલના તબીબ ખાલેદ સુહેલે જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં ૧ર મૃતદેહો તથા ૩૦ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. હાદી સરકારના સમર્થનમાં છેલ્લા ૧૮ મહિનાથી કરવામાં આવી રહેલા હુમલાઓના મોટા પ્રમાણમાં નાગરિકોની જાનહાનિ બદલ સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર સઉદીની યમનમાં દરમિયાનગીરી શરૂ થયા બાદથી મોટાભાગે નાગરિકો સહિત ૧૦૦૦૦થી પણ વધુ લોકો માર્યા ગયા છે.